04 March 2018

શ્રીયમુનાજીની સ્તુતિ શ્રીકૃષ્ણના ચરણારવિંદની Shri Yamunajini Stuti Shri Krushna na Charnarvindni

શ્રીકૃષ્ણના ચરણારવિંદની, 

રજ થકી શોભી રહ્યાં; 

સિદ્ધિ અલૌકિક આપનારાં, 

વંદું શ્રીયમુનાજીને.

સુપુષ્પની સુવાસથી, 

જંગલ બધું મહેકી રહ્યું, 

ને મંદ શીતલ પવનથી, 

જલ પણ સુગંધિત થઇ રહ્યું; 

પૂજે સુરાસુર સ્નેહથી, 

વળી સેવતાં દૈવી જીવો, 

વંદન કરું શ્રીયમુનાજીને, 

શ્રીકૃષ્ણ આશ્રય આપજો

સૂર્ય મંડળ છોડીને, 

બહુ વેગથી આવી રહ્યાં, 

ત્યાં કલિન્દના શિખર ઉપર, 

શોભા અતિ સુંદર દીસે; 

એ વેગમાં પત્થર ઘણા, 

હરખાઇને ઉછળી રહ્યાં; 

ને આપ પણ ઉલ્લાસ પૂર્વક, 

ઉછળતાં શોભી રહ્યાં, 

હરિ હેતના ઝૂલા ઉપર, 

જાણે બિરાજ્યા આપ હો, 

વંદન કરું શ્રીયમુનાજીને, 

શ્રીકૃષ્ણ આશ્રય આપજો.

શુક મોર સારસ હંસ આદિ, 

પક્ષીથી સેવાયેલાં, 

ગોપીજનોનાં સેવ્ય ભુવન, 

સ્વજન પાવન રાખતાં; 

તરંગ રૂપ શ્રી હસ્તમાં, 

રેતી રૂપી મોતી તણાં, 

કંકણ સરસ શોભી રહ્યાં, 

શ્રીકૃષ્ણને બહુ પ્રિય છે; 

નિતમ્બરૂપ શ્રી તટ તણું, 

અદ્ભુત દર્શન થાય જો, 

વંદન કરું શ્રીયમુનાજીને, 

શ્રીકૃષ્ણ આશ્રય આપજો.

અનન્ત ગુણથી શોભતાં, 

સ્તુતિ દેવ બ્રહ્મા-શિવ કરે, 

ઘનશ્યામ જેવું મેઘ સમ છે, 

સ્વરૂપ સુંદર આપનું; 

વિશુદ્ધ મથુરાં આપનાં, 

સાનિધ્યમાં શોભી રહ્યાં, 

સહુ ગોપ ગોપી વૃન્દને, 

ઇચ્છિત ફળ આપી રહ્યાં; 

મમ કોડ સૌ પૂરા કરો, 

જ્યમ ધ્રુવ પરાશરના કર્યા, 

વંદન કરું શ્રીયમુનાજીને, 

શ્રીકૃષ્ણ આશ્રય આપજો.

શ્રીકૃષ્ણનાં ચરણો થકી, 

શ્રી જાહ્નવી ઉત્પન્ન થયાં, 

સત્સંગ પામ્યાં આપનો ને, 

સિદ્ધિ દાયક થઇ રહ્યાં; 

એવું માહાભ્ય છે આપનું, 

સરખામણી કોઇ શું કરે, 

સમ કક્ષમાં આવી શકે, 

સાગર સુતા એક જ ખરે; 

એવાં પ્રભુને પ્રિય ! મારા, 

હૃદયમાં આવી વસો, 

વંદન કરું શ્રીયમુનાજીને, 

શ્રીકૃષ્ણ આશ્રય આપજો.

2 comments:

  1. Balance lyrics
    અદ્ભુત ચરિત્ર છે આપનું વંદન કરું હું પ્રેમથી
    યમ યાતના આવે નહિ મા આપના પયપાનથી
    કદી દુષ્ટ હોઇએ તોય પણ સંતાન છીયે અમે આપનાં
    સ્પર્શે ન અમને કોઈ ભય છાયા સદા છે આપની
    ગોપીજનોને પ્રિય બન્યાં એવી કૃપા બસ રાખજો
    વંદન કરું શ્રી યમુનાજીને શ્રી કૃષ્ણ આશ્રય આપજો

    (૭)
    શ્રી કૃષ્ણને પ્રિય આપ છો મમ દેહ સુંદર રાખજો
    ભગવદ લીલામાં થાય પ્રીતિ સ્નેહ એવો આપજો
    જ્યમ આપના સંસર્ગથી ગંગાજી પુષ્ટિમાં વહ્યાં
    મમ દેહ મન શ્રી કૃષ્ણને પ્રિય થાય એવાં રાખજો
    વિરહા ર્તિમા હે માત મારા હૃદયમાં બિરાજજો
    વંદન કરું શ્રી યમુનાજીને શ્ર કૃષ્ણ આશ્રય આપજો

    (૮)
    હું આપની સ્તુતિ શું કરું માહાત્મ્ય અપરંપાર છે
    શ્રી લક્ષ્મી વિષ્ણુ સેવવાથી મોક્ષનો અધિકાર છે
    પણ આપની સેવા થકી અદ્ભુત જલક્રિડા તણાં
    જલના અણુની પ્રાપ્તિ થાય ગોપીજનોના સ્નેહથી
    એ સ્નેહનું સુખ દિવ્ય છે મન મારું એમાં સ્થાપજો
    વંદન કરું શ્રી યમુનાજીને શ્રીકૃષ્ણ આશ્રય આપજો

    કોઈ સ્નેહથી કરશે સદા આ પાઠ યમુનાષ્ટકતણો
    નિશ્ચય પ્રભુને પ્રિય થશે ને નાશ થાશે પાપનો
    સિદ્ધિ સકલ મળશે અને શ્રી કૃષ્ણમાં વધશે પ્રીતિ
    આનંદ સાગર ઊમટશે ને સ્વભાવ પણ જાશે જીતી
    જગદીશને વહાલા અમારા શ્રી વલ્લભાધીશ ઉચ્ચરે
    વંદન કરું શ્રી યમુનાજીને શ્રી કૃષ્ણ આશ્રય આપજો

    ReplyDelete